Kerala University Stampede: કોન્સર્ટમાં 4 વિદ્યાર્થીઓના મોત બાદ નિખિતા ગાંધીનું નિવેદન

નિખિતા ગાંધીના કહેવા પ્રમાણે તે કાર્યક્રમ માટે પહોંચે તે પહેલા જ દુર્ઘટના બની હતી

Courtesy: Twitter

Share:

 

Kerala University Stampede: શનિવારે સાંજે કોચી ખાતેની પોતાની કોન્સર્ટમાં 4 વિદ્યાર્થીઓના મોત બાદ ગાયિકા નિખિતા ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નોંધનીય છે કે, કેરળની યુનિવર્સિટીમાં નાસભાગ (Kerala University Stampede)ના કારણે 2 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

કોચીન યુનિવર્સિટીના વાર્ષિક ઉત્સવમાં નાસભાગમાં વિદ્યાર્થીઓના મોત બાદ કેરળ સરકારે હવે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.


Kerala University Stampede મામલે નિખિતાનું નિવેદન

નિખિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નિવેદન શેર કરતા લખ્યું હતું કે, "આજે સાંજે કોચીમાં જે બન્યું તેનાથી હૃદયભંગ થયું અને દુઃખ થયું. હું પર્ફોર્મન્સ માટે સ્થળ માટે રવાના થઈ શકું તે પહેલા જ આવી કમનસીબ ઘટના બની હતી. આ ગહન દુઃખને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો જ પૂરતા નથી. મારી પ્રાર્થના વિદ્યાર્થીઓના પરિવારો માટે છે."

નિખિતાએ આ પોસ્ટ લખ્યા બાદ તેનું કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું. આ તરફ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે નિખિતા ગાંધીના મ્યુઝિકલ પરફોર્મન્સ દરમિયાન જ નાસભાગ મચી હતી. જોકે અધિકારીઓએ પછીથી જણાવ્યું હતું કે, જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે ગાયિકાએ તેનો કાર્યક્રમ શરૂ નહોતો કર્યો. 


2000 વિદ્યાર્થીઓ થયા હતા એકઠા

કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ મચી હતી. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના નિખિતા ગાંધીના એક સંગીત સમારોહ દરમિયાન થઈ હતી. આ કાર્યક્રમ કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં ચાલી રહ્યો હતો અને તે દરમિયાન લગભગ 2000 વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કોચી સ્થિત CUSAT યુનિવર્સિટી કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાગદોડ મચતા 4 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 64થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમને સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.


ઓપન એર સ્ટેડિયમમાં ઈવેન્ટ

આ ઈવેન્ટ ઓપન એર સ્ટેડિયમમાં ચાલી રહી હતી અને વિદ્યાર્થીઓ સિવાય કેટલાક બહારના લોકો પણ કેમ્પસમાં આવ્યા હતા. આ દરમિયાન વરસાદ શરૂ થયો એટલે લોકો નજીકના ઓડિટોરિયમમાં પહોંચ્યા હતા અને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ હતી. કેરળની યુનિવર્સિટીમાં નાસભાગ (Kerala University Stampede)માં 15 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા અને 3ને ગંભીર ઈજાઓ પહોંચી છે.

નગર નિગમના કાઉન્સિલર પ્રમોદના જણાવ્યાનુસાર યુનિવર્સિટીમાં એક જ ગેટથી એન્ટ્રી અને એક્ઝિટ હોવાને લીધે નાસભાગ મચી ગઈ હતી. લોકો એક જ ગેટથી અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઊભા પગથિયાથી એન્ટ્રી કરનારા વિદ્યાર્થીઓ પડી જતાં ગેટ પર ભારે ભીડ જામી ગઈ હતી અને તેઓ કચડાઈ ગયા હતા.