સુરત એરપોર્ટને અપાયો ‘હેરિટેજ લૂક’ જોઈને અચંબિત થઈ જશો

ટર્મિનલ બિલ્ડીંગનો અગ્રભાગ, શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂના સમયના ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો

Share:

હાઈલાઇટ્સ

  • સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પણ મળી ગયો છે
  • વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે

આવતીકાલની સવારનો સૂર્યોદય ગુજરાતના સુરત શહેર માટે સોનાનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. કારણ કે, આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેરમાં ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે, સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પણ મળી ગયો છે.

Surat
Surat

ત્યારે હિરા ઉદ્યોગનું હબ ગણાતા સુરત માટે આ સોનેરી અવસર છે. સુરતમાં થયેલું આ નવું ડવલપમેન્ટ એટલા માટે મહત્વનું છે, કારણ કે આનાથી સુરતની શાન અને આર્થિક સ્થિતિ બંન્નેમાં સુધારો થશે. આ સિવાય યુવાનોને રોજગારીના નવા અવસરો પણ મળશે. 

Surat
Surat

એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના અન્ય મંત્રીઓ, સામાજીક મહાનુભાવો, અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

Surat
Surat

સુરત એરપોર્ટ અત્યારે દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ગોવા, પૂણે, દિવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. તો બીજીતરફ સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પણ મળી ગયો છે. ત્યારે આનો સૌથી વધારે ફાયદો સુરતમાં ફેલાયેલા હિરાઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક એકમોને થવાનો છે. 

Surat
Surat

સુરત અનેક રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ શહેર પાસે સારું ભોજન તો છે જ પરંતુ એ સિવાય આ સુરત શહેર પોતાનો એક અલગ જ ઐતિહાસિક વારસો સાચવીને બેઠું છે. ત્યારે સુરત એરપોર્ટ પર નવા તૈયાર કરાયેલા ટર્મિનલ બિલ્ડીંગનો અગ્રભાગ, શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂના સમયના ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયું છે.  

Surat
Surat

 

સુરત એરપોર્ટના નવા ટર્મિનવ બિલ્ડીંગમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે. 

Surat
Surat


સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે. સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે. ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે.