સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ગુરુવારે મંદિરનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ PM મોદીને ગુરુવર્ય મહંત સ્વામીજી વતી મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું.
પીએમ મોદીને આમંત્રણ અપાયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બેઠક પછી, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી કે ગુરુવર્ય મહંત સ્વામીજી વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી 14 ફેબ્રુઆરી 2024એ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્ઘાટન સમારોહના આમંત્રણ માટે ભારત આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા હિન્દુ મંદિરનું સંચાલન કરે છે.
અબુધાબીના હિંદુ મંદિરના પ્રતિનિધિમંડળે પીએમ મોદી સાથે લગભગ એક કલાક સુધી અનૌપચારિક મુલાકાત કરી હતી. આ દરમિયાન, વૈશ્વિક સંવાદિતા માટે હિન્દુ મંદિરોના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વના મોદીના વિઝનની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અબુ ધાબીનું આ પહેલું હિંદુ મંદિર છે, જે અલ વકબા સ્થાન પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે. આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી બનેલા આ મંદિરનું કોતરકામ અજોડ છે.