જે લોકો નિયમિતપણે સવારનો નાસ્તો કરવાની આદત ધરાવે છે તેમની સરખામણીએ જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમને અમુક પ્રકારના કેન્સ થવાનું જોખમ વધી જાય છે. તાજેતરના એક અભ્યાસ પ્રમાણે જે લોકો નિયમિતપણે નાસ્તો કરે છે તેમની સરખામણીએ જે લોકો સવારમાં નાસ્તો નથી કરતા તેમને એસોફેજલ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, લીવર કેન્સર અને પિત્તાશય અને એક્સ્ટ્રાહેપેટિક પિત્તનળીના કેન્સરનું જોખમ વધારે છે.
સવારનો નાસ્તો ન કરવાથી ગ્લુકોઝ ચયાપચયની પ્રક્રિયામાં અડચણ આવે છે, સ્થૂળતા, ક્રોનિક ઈન્ફ્લેમેશન, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને કેન્સર થઈ શકે છે. ચાઈનીઝ સંશોધકોએ 63,000 લોકોના નાસ્તાની આદતો અંગે અભ્યાસ કરીને જઠરના કેન્સરના જોખમ અંગે અભ્યાસ કર્યો હતો.
કોઈ પણ વ્યક્તિએ દિવસમાં ટોટલ 6 વખત કશું ખાવું જોઈએ જેમાં 3 મુખ્ય ભોજન અને તે સિવાય 3 વખત કશું હળવું ખાવું જોઈએ. તેનાથી ભૂખ નિયંત્રણમાં આવશે અને ચયાપચયને પણ વેગ મળશે. નાસ્તો ન કરવાના કારણે લાંબા ગાળે ઘણી મોટી સમસ્યાઓ થઈ શકે છે જેમ કે,
સવારે નાસ્તો ન કરવાના કારણે થાક અને ચીડિયાપણાની સાથે ઉર્જાવિહીન હોવાની લાગણીનો અનુભવ થશે. માથાનો દુઃખાવો અને માઈગ્રેન પણ થઈ શકે છે. આ આદત આખરે ટાઈપ 2 ડાયાબિટીસ તરફ દોરી જાય છે.
નાસ્તો ન કરવાની આદતના કારણે શરીર સંભવિત ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ પડતી કેલેરીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દે છે.
નાસ્તો ન કરવાના કારણે કોર્ટિસોલના લેવલ પર પ્રતિકૂળ અસર પડે છે જે એક પ્રાથમિક સ્ટ્રેસ હોર્મોન છે.
નાસ્તો ન કરવાના કારણે દિવસ દરમિયાન તમે વધુ પડતી કેલેરી, સેચ્યુરેટેડ ફેટ્સ, સુગર અને કાર્બોહાઈડ્રેટ્સની માત્રા ધરાવતા વધુ પડતા ખોરાકનું સેવન કરવા લાગો છો.
સવારનો નાસ્તો છોડી દેવાથી હાઈપરટેન્શન રહે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઉંચુ જાય છે જેથી ધમનીઓ નબળી પડવા લાગે છે.
સવારનો નાસ્તો ન કરવાની આદત વાળના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારી બને છે અને ધીમે ધીમે વાળ ખરવા લાગે છે.
નાસ્તો ન કરવાના કારણે મગજમાં ગ્લુકોઝનું સ્તર ઘટે છે જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવાય છે.
નાસ્તો ન કરવાની આદત તમારી રોગપ્રતિકારક શક્તિ માટે પણ પ્રતિકૂળ અસર ઉભી કરે છે. નાસ્તો ન કરવાના કારણે રોગપ્રતિકારક કોષોનો નાશ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
નાસ્તો ન કરવાના કારણે પેટ ફુલાઈ જવું, એસિડિટી, અપચો સહિતની સમસ્યા પણ ઉભી થાય છે. નાસ્તો એ રાત્રિભોજન બાદના ઓછામાં ઓછા 10-12 કલાકના સ્વૈચ્છિક ઉપવાસ પછીનું દિવસનું પ્રથમ ભોજન છે. આ કારણે ખૂબ જ આરોગ્યપ્રદ એવો પ્રોટીનથી ભરપૂર નાસ્તો ખૂબ ઉપયોગી બની રહે છે.