IPS અધિકારી Rajan Susraના પત્નીએ કેમ કર્યો આપઘાત? પરિવાર અને પોલીસે શું કહ્યું?

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રિલા બંગ્લોઝમાં રહેતા IPS અધિકારી રાજન ટી સુસરાના પત્ની શાલુબેને અગમ્ય કારણોસર ગુરૂવારે રાતે ઘરમાં નીચેના ભાગમાં આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • IPS રાજન સુસરા હજીરા મરિન ટાસ્ક ફોર્સમાં ફરજ બજાવે છે
  • સુરત લગ્નપ્રસંગમાંથી પરત આવ્યા બાદ પત્નીએ આપઘાત કર્યો
  • લગ્નમાં હાજર લોકોની પૂછપરછ કરીને નિવેદન લેવાશે : પોલીસ

અમદાવાદ: ગુજરાતના IPS અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સુરત હજીરા મરિન ટાસ્ક ફોર્સમાં ફરજ બજાવતા SP રાજન સુસરાની પત્નીએ અમદાવાદ સ્થિત થલતેજ ખાતે પોતાના જ ઘરે આત્મહત્યા કરી લીધી હતી. IPS પત્નીના આપઘાતને લઈને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બનાવને પગલે અમદાવાદ પોલીસના સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિવાર તેમજ આસપાસના લોકોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

પરિવારજનોએ શું કહ્યું?

સમગ્ર મામલે શાલુબેનના ભાણિયા મેહુલ ઝુંઝાએ મીડિયાને જણાવ્યું કે, ઘટના કઈ રીતે બની તે ખ્યાલ નથી. 4-5 દિવસથી લગ્નપ્રસંગમાં હતા. IPS સુસરા કાકા થાય છે. તેઓ ગુરુવારે બપોરે આવી ગયા હતા, જ્યારે માસી લગ્નમાંથી રાતે 10.30 વાગ્યે પરત આવ્યા હતા. માસી આવ્યા ત્યારે કાકા સૂઈ ગયા હતા. સામાન્ય રીતે માસી રોજ સવારે પૂજાપાઠ માટે વહેલા ઉઠતા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે પતિ રાજન સુસરા ઉઠ્યા ત્યારે શાલુબેનની નિયમિત ચહલ -પહલ ન જણાતા તેઓ તેમને ઘરમાં શોધવા લાગ્યા અને બૂમ પાડ્યા બાદ પણ કોઈ જવાબ ન મળતા સુસરા રૂમોની તપાસ કરવા લાગ્યા અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બેડરૂમમાં પહોંચ્યા તો શાલુબેનને આપઘાત કરેલી હાલતમાં જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવારજનો હાલ શોકમાં છે અને શાલુબેનના આપઘાત પાછળનું કારણ જાણતા નથી.

ગત મહિને જ સેલિબ્રેટ કરી હતી એનિવર્સરી!

મીડિયા રિપોર્ટ અનુસાર IPS સુસરા અને પત્ની શાલુબેને એક મહિલા પહેલા જ પોતાની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી. બીજી તરફ નજીકના લોકોનું એવું પણ કહેવું છે કે, આગામી દિવસોમાં તેમની દીકરીના લગ્ન લેવાના હોવાથી પરિવારિક મનદુ:ખ ચાલતું હોવાની પણ ચર્ચા છે. સમગ્ર કેસ મામલે પોલીસનું કહેવું છે કે, શાલુબેને ક્યા કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા મળ્યું નથી. કોઈ અંતિમ ચિટ્ઠી પણ મળી નથી. પપરિવાર કે સંબંધીની પ્રાથમિક પૂછપરછમાં પણ કોઈ વિગત સામે આવી નથી. જેથી શાલુબેન સુરત ખાતે લગ્નપ્રસંગમાં જે લોકોને મળ્યા હતા તેમનું નિવેદન નોંધીને આગળની તપાસ કરવામાં આવશે.

કોણ છે IPS રાજન સુસરા?

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરના અને સુરત, વડોદરા અને અમદાવાદમાં વિવિધ પોસ્ટ પર ફરજ બજાવી ચૂકેલા રાજન ટી સુસરા હાલ સુરત હજીરા મરિન ટાસ્ક ફોર્સમાં SP તરીકે ફરજ બજાવે છે. તેમની પત્ની શાલુબેને (52) ગુરુવારે રાતે ઘરમાં જ આપઘાત કર્યો હતો. સુસરાના પરિવારમાં એક પુત્રી છે જે USમાં રહે છે. આ ઉપરાંત સુસરાને બે જોડિયા પુત્ર પણ છે.