'લગભગ 80 લાખ ડ્રાઈવરોની નોકરી જતી રહેશે...', જાણો નીતિન ગડકરીએ આવું કેમ કહ્યું?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડ્રાઇવરલેસ વાહનો માત્ર નાની વસ્તી ધરાવતા દેશો માટે જ યોગ્ય છે, પરંતુ ભારત માટે નહીં

Share:

હાઈલાઇટ્સ

  • નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ ભારતમાં ડ્રાઈવર વિનાની કારને મંજૂરી નહીં આપે
  • ટેસ્લાનું સ્વાગત છે, પણ ઉત્પાદન ચીનમાં અને વેચાણમાં ભારતમાં તે શક્ય નથી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ ભારતમાં ડ્રાઇવર વિનાની કારને મંજૂરી આપશે નહીં. તેમણે કહ્યું કે જો દેશમાં ઓટોનોમસ વાહનો લાવવામાં આવશે, તો '80 લાખ ડ્રાઇવરો' બેરોજગાર થઈ જશે. જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પોર્ટફોલિયો ધરાવતા મંત્રીએ આઈઆઈએમ નાગપુર દ્વારા તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

ગડકરીએ જણાવ્યું કે, 'મેં અમેરિકામાં જ કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઇવર વિનાની કારને કોઈપણ કિંમતે મંજૂરી આપીશ નહીં. આ એટલા માટે છે કારણ કે આપણા દેશમાં, મોટી સંખ્યામાં લોકો ડ્રાઇવર તરીકે કામ કરે છે. જેથી ડ્રાઇવરલેસ કાર તેમની નોકરી છીનવી લેશે. ગડકરીએ વધુમાં કહ્યું કે, આવા વાહનો માત્ર નાની વસ્તી ધરાવતા દેશો માટે જ યોગ્ય છે. 

અગાઉ, ગડકરીએ ઓછામાં ઓછા બે વખત જાહેરમાં દેશમાં ડ્રાઇવર વિનાની કાર રાખવાના વિચાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, એક વખત જુલાઈ 2017 અને ડિસેમ્બર 2019માં, અને તે જ કારણ દર્શાવ્યું હતું કે ડ્રાઇવર તરીકે કામ કરતા લોકો બેરોજગાર થઈ જશે.

IIM નાગપુર ઇવેન્ટમાં મંત્રીએ મોદી સરકાર અને ટેસ્લા, એલોન મસ્કની આગેવાની હેઠળની વિશ્વની સૌથી મોટી ઇવી ઉત્પાદક કંપની, ભારતમાં ફેક્ટરી ખોલવા અંગેની ચાલી રહેલી ચર્ચાઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'અમે ટેસ્લાનું સ્વાગત કરીએ છીએ. પરંતુ ચીનમાં ઉત્પાદન, અને ભારતમાં વેચાણ, તે શક્ય નથી. અમે તેમના માટે અહીંથી જ ઉત્પાદન કરવા માટે તૈયાર છે.